શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા સને ૧૯૩૭ માં ધી.એ.વી સ્કૂલના નાનકડા બીજથી કેળવણી ધામનો પ્રારંભ કરવામાં આવેલો. સમયના વહેણ સાથે ગોઝારિયા અને આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓની જરૂરિયાતને અનુલક્ષીને ક્રમશ: ઉચ્ચ પ્રાથમિક, પ્રાથમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ ગર્લ્સ હાઈસ્કૂલ, ગર્લ્સ આર્ટ્સ કૉલેજ,ઔધોગિક તાલીમ સંસ્થાઓ તથા બાલમંદિર સહિતનું વિશાળ શૈક્ષણિક ધામ આકાર પામ્યું છે. નેવુંના દાયકામાં અમેરિકા નિવાસી બહેચરભાઈ સોમનાથ પટેલે શ્રી ગોઝારિયા કેળવણી મંડળને માતબર રકમની સખાવત કરીને પોતાના વડીલ બંધુ ગોઝારિયા હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષક તેમજ કેળવણી મંડળના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી જોઈતારામ સોમનાથ પટેલનું શુભનામ જોડવામાં આવ્યું હતું.
શ્રી જોઈતારામ સોમનાથ પટેલનો જન્મ ખેડૂત કુટુંબમાં થયો હતો. મેટ્રીક સુધી શિક્ષણ મેળવી ગોઝારિયા હાઈસ્કૂલમાં ૧૯૪૪-૪૫ થીં ૧૯૪૬-૪૭ સુધી શિક્ષક તરીકે ફરજ બજાવી. બાદમાં શિક્ષકની નોકરી છોડી અમદાવાદના માધુપુરામાં ગોળનો વેપાર શરૂ કર્યો. તેમની પ્રમાણિક વેપારી અને સ્પષ્ટ વક્તા તરીકેની છાપના કારણે તેઓ અમદાવાદ વેપારી મંડળના પ્રમુખ બન્યા. ગરીબોને વ્યાજબી દરે સારવાર મળી રહે તેવા હેતુસર તેમણે અમદાવાદમાં વેપારી મંડળ તરફથી દવાખાનું શરૂ કરાવડાવ્યું હતું. તેઓ રાષ્ટ્રીય વેપારી મંડળમાં નિયુક્તિ પામ્યા હતા.
તેમણે ગોઝારિયા કેળવણી મંડળના પ્રમુખપદે ૭ વર્ષ રહી બહુ કડકાઈ અને સારી રીતે વહીવટ કર્યો. ગણિત વિષયમાં સૌથી વધુ માર્ક્સ લાવનાર વિધાર્થીને રૌપ્ય ચંદ્રક આપી પ્રોત્સાહિત કરતા.