ગૌ.ઝરિયા, ગો.ઝરિયા અને છેવટે વર્તમાન કાલખંડનું ગોઝારિયા. ઉત્તર ગુજરાતના મહેસાણા તાલુકાનું હરિયાળીથી પલ્લવિત અને રસાળ ધરતીની ગોદમાં વિકસેલું આપણા રૂદિયાનું રતન એટલે આપણું વતન ગોઝારિયા. આવા ગૌરવશાળી ગોઝારિયાનું ઘરેણું એટલે ગોઝારિયા કેળવણી મંડળ. દેશની આઝાદી પહેલા દશકા અગાઉ જેની સ્થાપના થયેલી અને આઠ દાયકાની વિકાસયાત્રાને અંતે આજે લગભગ દશ શૈક્ષણિક એકમોનું સંચાલન કરતી સંસ્થા એટલે ગોઝારિયા કેળવણી મંડળ.
પ્રાથમિક શિક્ષણ માટે ગોઝારિયા ખાતે શ્રીમંત ગાયકવાડ સરકાર દ્વારા ઓગણીસમી સદીમાં જ પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળાની સ્થાપના થયેલી. પરંતુ અંગ્રેજી શિક્ષણ માટે કડી,પિલવાઈ,વિસનગર કે અમદાવાદ જવું પડે તેમ હતું. વળી તે સમયે ગ્રામ્ય સમાજની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હતી. આવા સમયે સને ૧૯૩૭ ના મે માસમાં ગોઝારિયાના વતની અને સૂરત ખાતે જરી-કિનખાબનો ધંધો કરતા બે ભાગીદારો સ્વ.સોમાભાઈ અંબાલાલ પટેલ અને સ્વ.લાલાભાઈ અંબારામ પટેલ વતનમાં આવેલા.દૈવકૃપાથી અને ગોઝારિયાના લોકોના સદનસીબે આ બે ભાગીદારોએ ગામના દીર્ઘદ્રષ્ટા અને શિક્ષણનું મહત્વ સમજતા ગામના પરગજુ આગેવાન કાર્યકરોને પોતાના ઘેર બોલાવી અંગ્રેજી શિક્ષણ માટેની માધ્યમિક શાળા શરૂ કરવા સુચન કર્યું. આગેવાનોની આર્થિક સંકડામણની મુંજવણ સમજી તેઓએ તે વઝતે ૧૫૦૧/- રૂપિયા જેટલી માતબર રકમ દાનમાં આપી. અને ભવિષ્યમાં સૂરતથી દાન એકત્ર કરી સહયોગ આપવાની હૂંફ પૂરી પાડી. આ શુભઘડીએ જ માધ્યમિક શાળા ધી એગ્લો વર્નાક્યુલર સ્કૂલ (ધી એ.વી. સ્કૂલ ) નો સંકલ્પ સાકાર પામ્યો. આગેવાનોએ સ્વ.રામચંદ્ર જમનાદાસ અમીન ( વકિલ ) ના નેતૃત્વમાં શ્રી ગોઝારિયા કેળવણી મંડળની સ્થાપના તા. ૦૪-૦૬-૧૯૩૭ થી અને ધી એ.વી. સ્કૂલ નો પ્રારંભ તા. ૧૧-૦૬-૧૯૩૭ ના રોજ કરેલ.